નવી દિલ્હી: મિસ વર્લ્ડ 2026 સ્પર્ધા માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર મોડેલ નિકિતા પોરવાલ હાલ પોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની તૈયારી, પરિવારનો સાથ, ‘બ્યુટી વિથ અ પર્પઝ’ પ્રોજેક્ટ અને ભવિષ્યના સપનાઓ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.
નિકિતાએ જણાવ્યું કે મિસ વર્લ્ડ જેવી વૈશ્વિક સ્પર્ધા માટે તેઓ દરરોજ નવી બાબતો શીખી રહ્યા છે. ફિટનેસ, રેમ્પ વોક, કમ્યુનિકેશન સ્કિલ્સ અને ઇન્ટરવ્યૂ પ્રેક્ટિસ ઉપરાંત તેઓ માનસિક રીતે પણ પોતાને મજબૂત બનાવી રહ્યા છે. તેમના મતે હેતુ માત્ર સ્પર્ધામાં સારું પ્રદર્શન કરવાનો નથી, પરંતુ સમગ્ર વિશ્વ સમક્ષ ભારતનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કરવાનો છે.
ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક અંગે નિકિતાએ કહ્યું કે દેશનું નામ પોતાની સાથે જોડાવું ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે. તેઓ આ તક માટે ઉત્સાહિત, ભાવુક અને આભારી હોવાનું જણાવે છે.
મધ્ય પ્રદેશમાંથી પ્રથમ વખત ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ બનનાર નિકિતાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન મળેલી ટ્રેનિંગે તેમને આત્મવિશ્વાસ, શિસ્ત અને સતત શીખતા રહેવાની પ્રેરણા આપી છે.
પ્રેરણાસ્ત્રોત વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે પૂર્વ મિસ વર્લ્ડ વિજેતા ઐશ્વર્યા રાય અને પ્રિયંકા ચોપરાની સફર તેમને ખૂબ પ્રેરિત કરે છે. તેઓ પણ સફળતા સાથે સમાજ માટે હકારાત્મક યોગદાન આપતી ઓળખ બનાવવાની ઇચ્છા રાખે છે.
નિકિતાના જણાવ્યા મુજબ તેમની સફળતા પાછળ તેમના પરિવારનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. પરિવારના વિશ્વાસ અને સતત પ્રોત્સાહનના કારણે તેઓ પોતાના સપનાઓ સુધી પહોંચી શક્યા છે.
બ્યુટી પેજન્ટ્સ અંગે રહેલા સ્ટીરિયોટાઇપ્સ વિશે તેમણે કહ્યું કે આજના સમયમાં આવા મંચો માત્ર સૌંદર્ય માટે નહીં, પરંતુ વ્યક્તિત્વ, વિચારસરણી, સામાજિક જવાબદારી અને આત્મવિશ્વાસ માટે પણ મહત્વ ધરાવે છે.
ડાયટ અંગે તેમણે જણાવ્યું કે તેઓ કડક ડાયટ કરતાં સંતુલિત અને પૌષ્ટિક આહારને વધુ મહત્વ આપે છે. છેલ્લા બે વર્ષ દરમિયાન તેમણે જંક ફૂડ, વધુ મીઠાઈ અને તળેલી વાનગીઓથી શક્ય તેટલું અંતર રાખ્યું છે.
નિકિતાનો ‘MAATI’ નામનો ‘બ્યુટી વિથ અ પર્પઝ’ પ્રોજેક્ટ આદિવાસી મહિલાઓ અને બાળકોના શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સશક્તિકરણ પર કેન્દ્રિત છે. તેમનું માનવું છે કે વિકાસનો અર્થ લોકોની ઓળખ બદલવી નહીં, પરંતુ તેમને વધુ સશક્ત બનાવવો છે.
થિયેટરના દિવસોમાં માતા સીતાની ભૂમિકા ભજવનાર નિકિતાએ જણાવ્યું કે ભવિષ્યમાં તક મળે તો તેઓ ફરી એકવાર સીતાનું પાત્ર ભજવવા ઇચ્છે છે, કારણ કે તેમના વ્યક્તિત્વમાં ધૈર્ય, કરુણા અને શક્તિનું અનોખું સમન્વય જોવા મળે છે.
સોશિયલ મીડિયા અંગે તેમણે યુવાનોને સંદેશ આપ્યો કે સોશિયલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ વાસ્તવિક જીવનનું સંપૂર્ણ પ્રતિબિંબ નથી. તેથી પોતાની સરખામણી અન્ય લોકો સાથે કરવા કરતાં પોતાના વિકાસ અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
